મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી - અનિલ જોશી


સૌપ્રથમ આ ગીત લગભગ ૯-૧૦ વર્ષ પહેલા સાંભળે લું. કોણ ગાયક અને કયા કવિનું આ ગીત છે એ જાણવાની પણ તે સમયે તો કોઇ ઉત્સુકતા ન હતી, કારણ કે આ શબ્દોનો મર્મ સમજવા જેટલી સમજ ન હતી.

પણ હવે જેટલી વાર આ ગીત સાંભળું, એટલું વધારે ગમે છે આ ગીત. અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ કલાકારનો અવાજ હોય પછી તો પૂછવું જ શું ? જાણે એક અલગ દુનિયામાં પહોંચી જવાય છે. થોડી હતાશા, અને સાથે જ થોડી ખુમારીનો અહેસાસ કરાવી જાય છે આ ગીત…..

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

————————————-

Post a Comment

0 Comments