ઝાકળના ટીપાંની
કરું સ્યાહી,
ઝળકે જેમાંથી
પારદર્શકતા લાગણીની …

ગુલાબની પાંખડીઓ પર
લખું કંઇક એવું,
પરબિડીયું ખુલે,
ને અસ્તિત્વ મહેંકે…

વળી,પહેરાવું કવિતાના વાઘા
મારા એ શમણાંને,
કે જોઈ મને પ્રિતમ સંગ
સૂર્ય સવારનો રોજ મલકે…

પણ લખું તો યે શું લખું ?
ક્યાં છે લાગણીની એ ઉત્કટતા સમજનાર ?
ક્યાં છે શબ્દોની એ સુંદરતા મૂલવનાર ?

અને તો યે
લખવો છે મારે
લાગણીભીનો
એક પ્રેમપત્ર…!!

Post a Comment

0 Comments